
છેલ્લા એક અઠવાડિયામાં ભારત ભર માં બે દાદી ઓ જોરદાર ચર્ચા માં છે. ઈન્ટરનેટ ની ભાષા માં કહીયે તો વાયરલ થયા છે. પહેલા દાદી ૮૭ વર્ષ ના ચારુલતા પટેલ , જે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારત ની ટીમ ને સ્ટેડિયમ માં બેસી ને પાનો ચડાવતા જોવા મળ્યા. અને બીજા એક તામિલિયન દાદી એમના પૌત્ર સાથે અલગ અલગ કૂલ વિડીયો ટીક ટોક પર પોસ્ટ કરી ને જોરદાર ચર્ચા માં છે.
આ બંને કિસ્સાઓ માં મારા મતે દર્શકો ને જે આકર્ષી રહ્યું છે તે આ બંને દાદીઓનો જુવાનો ને પણ શરમાવે એવો જુસ્સો છે. આપણે ત્યાં અમુક ઉંમર થી મોટા લોકો માટે સામાજિક રીતે જ અમુક પ્રવૃત્તિઓ ના કરી શકાય એવી માનસિકતા છે. એવો કોઈ બંધ નથી પણ મોટા ભાગ ના લોકો દ્વારા એમ માની લેવા માં આવે છે કે અમુક ઉંમર પછી તમારી જિંદગી પૂરી. તમે એને માની ના શકો. અને જો તમે એવું કૈક કરવા જાવ તો તમારી પ્રવૃત્તિઓ માટે ક્યાં તો તમારી ટીકા થાય અથવા તમારી હાંસી ઉડે. આ આપણા સમાજ ની વિચિત્ર માનસિકતા નો ચિતાર આપે છે.
હમણાં થોડા સમય પહેલા આયુષ્માન ખુરાના ની એક ફિલ્મ આવેલી. ‘બધાઈ હો’. એમાં પણ આ જ વિષય ને સુંદર રીતે રજુ કરાયેલો. મોટી ઉંમર ની વ્યક્તિઓ અમુક જ રીત ની માજા માણી શકે , અમુક જ રીતે હસી બોલી શકે , અમુક જ પ્રકાર ના કપડાં પહેરી શકે , એમનું ધ્યાન મોટા ભાગે પ્રભુ ભક્તિ માં જ હોવું જોઈએ , એમણે ધાર્મિક જાત્રાઓ જ કરવી જોઈએ એવું એક લાંબુ લિસ્ટ સમાજ એ એમના માટે તૈયાર કરેલું છે. અને એ દાયરા ની અંદર રહી ને વર્તતા લોકો ને ‘ સભ્ય’ ગણવામાં આવે. જાણે કે અમુક ઉંમર પછી તમને મુક્ત મને જીવવા પર રીત સર નો પ્રતિબંધ ના હોય!
આ બાબતે આપણે પશ્ચિમ ના દેશો અને ત્યાંની સભ્યતા પાસે થી શીખ લેવા જેવી છે. ત્યાં ઉંમર નો કોઈ બાધ નથી. તમને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવા બાદલ કોઈ પણ ઉંમરે ટોકવામાં નથી આવતા. એના વિષે ધારણાઓ પણ બાંધવામાં નથી આવતી. ઉપરથી તમને આમ કરવા માટે નું મોકળાશ ભર્યું વાતાવરણ અપાય છે. ત્યાં ‘ Age is just a number ‘ એ વાત માત્ર વાતો માં નથી. એનો અમલ પણ થાય છે. અને એટલે જ ત્યાં જુસ્સા ભેર હોંશ થી જીવતા દાદીઓ રાતોરાત ચર્ચા નું કારણ નથી બનતા.
ખરું જોવા જાવ તો આ બંનેવ કિસ્સા માં આ દાદીઓ આપણા માટે પ્રેરણા રૂપ છે. દુનિયાઇ ને ભૂલી ને પોતાની મસ્તી માં જીવવું , પોતાને ગમતું કરવું , કોણ શું કહેશે એની પરવાહ કાર્ય વગર પોતાના શોખ પૂરા કરવા , આ બધું જ કરવા માટે આપણા જેવા સમાજ માં હિમ્મત જોઈએ. બેફિકરાઈ જોઈએ , ખુબ મજબૂત મન જોઈએ અને જીવન જીવવા ની અપ્રતિમ ધગશ જોઈએ જે આજના યુવાનો માં પણ કૈક અંશે ખૂટતી જોવા મળે છે . એટલે જ વારંવાર તમને એમના મોઢે થી ‘કંટાળો’ શબ્દ સાંભળવા મળે છે. મારા દાદી મને કહેતા કે જે પોતે કાંટાળા જનક હોય ને એને જ કંટાળો આવે. ત્યારે નહિ સમજાતું , અત્યારે આ વાત કેટલી સાચી લાગે છે.

અને છેલ્લે,
આ પરિસ્થિતિ માં આપણે શું કરી શકીએ? આપણા વડીલો ને વડીલો મટાડી ને મિત્રો બનાવી શકીએ. એમને એમની રીતે જીવવા ની મોકળાશ આપી શકીએ. એમની એમની મનગમતી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપી શકીએ. ટૂંક માં એમની ઢળતી ઉંમરે એમને ફરીથી જીવતા શીખવીએ.